સ્વ. કાનજીભાઇ રાઠોડનો
ઉલ્લેખ સહુ ફિલ્મ ઇતિહાસકારો એકિ અવાજે સમગ્ર ભારતના
સર્વ પ્રથમ સફળ કોમર્શીયલ ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરે
છે. હાલ નવસારી જિલ્લાના મરોલી નજીક પોંસરા ગામે
૧૮૯૯ માં માયાવંશી વણકર શ્રી જગાભાઇ મીઠાભાઈ રાઠોડના
ઘરે જન્મેલ કાનજીભાઇએ મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં
ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાનજીભાઇએ ફિલ્મ
કારકિર્દિની શરુઆત ઓરિએંટલ ફિલ્મ કંપનીમાં
ફોટૉગ્રાફર તરીકે કરી હતી. જેની ૧૯૧૭ માં બનેલ ફિલ્મ
"નરસિંહ મહેતા" (તે જમાનામાં મુંગી ફિલ્મો બનતી હતી)
માં તેઓ મુખ્ય હિરો તરીકે હતા. ગાંધી-આંબેડકરનો
પ્રભાવ શરુ થાય તે પહેલા અછુત દલિત કોમનો કોઇ
વ્યક્તિ તે સમયે ફિલ્મમાં મુખ્ય હિરો બને તે
ઐતિહાસીક બાબત કહેવાય.
ભારતીય ફિલ્મ ઇતિહાસમાં
અંગ્રેજ સરકાર દ્વારા સૌપ્રથમ પ્રતિબંધીત ફિલ્મ
તરીકે ૧૯૨૧ માં કાનજીભાઇ દિગ્દર્શીત "ભકત વિદુર"
(રોલેટ એક્ટ આધારીત ગાંધીજીની તરફેણ કરતી) નુ નામ
ઇતિહાસમાં નોંધાયેલ છે. સાંપ્રત ઘટના પરથી ફિલ્મ
બનાવનાર સૌ પ્રથમ કાનજીભાઇ રાઠોડ હતા જેમણે મુંબઇના
બહુચર્ચિત ડબલ મર્ડર કેસ પર આધારીત "કાલા નાગ" ફિલ્મ
૧૯૨૧ માં બનાવી હતી. ૧૯૩૧ માં બોલતી ફિલ્મોની શરુઆત
થઈ એ વર્ષે મુંબઈમાં બનેલ ૧૭ બોલતી ફિલ્મોમાંથી પાંચ
ફિલ્મો કાનજીભાઈના ડાયરેકશનમાં બનેલી. કાનજીભાઈના
ડાયરેકશનમાં છેલ્લી ફિલ્મ હતી ૧૯૪૯ માં બનેલી "શેઠનો
સાળો". ૧૯૨૦-૧૯૪૯ ની ફિલ્મ કારકિર્દિમાં કાનજીભાઈએ
૭૬ ફિલ્મોનુ ડાયરેકશનમાં કરેલ જેમાંની મોટા ભાગની
ફિલ્મો તે સમયે સિલ્વર - ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી
કરેલ. મુંગી ફિલ્મોમાં હિટ ગયેલ સૌથી વધુ ફિલ્મો
બનાવનાર તરીકે માયાવંશી વણકરપુત્ર કાનજીભાઇ રાઠોડનુ
નામ આવે છે. ૩૧-૧૨-૧૯૭૦ ના રોજ અવસાન પામેલ
કાનજીભાઈને એક જ સંતાન હતુ જે ૧૬ વર્ષની વયે
માંદગીથી અવસાન પામેલ. તેમના વારસદારમાં કોઇ હયાત
નહિ હોઈ તેમનો આવો ગૌરવવંતો વારસો જળવાઈ નથી શક્યો
તેમ છતાં મુંબઈ નિવાસી શ્રી રમણભાઈ રાઠોડે જ્યાં
ત્યાંથી મળે તેટલી વિગતો મેળવી માહ્યાવંશી શિક્ષણ
પ્રચારક સંઘ - મુંબઈ દ્વારા ૨૦૧૫ માં તેમનુ જીવન
ચરિત્ર પ્રકાશીત કર્યુ હતુ.